Matthew 18

1તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, ‘સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?’ 2ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને 3તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ પામશો.

4માટે જે કોઇ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટો છે. 5વળી જે કોઇ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે. 6પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઇ ઠોકર ખવડાવશે તે કરતાં તેને ગળે ભારે પથ્થર બંધાય અને તે સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.

7ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે વ્યક્તિથી ઠોકર આવે છે તેને અફસોસ છે! 8માટે જો તારો હાથ અથવા પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે; તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઇ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

9જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે; બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

10સાવધાન રહો કે આ નાનાંઓમાના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના દૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે. 11[કેમકે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો [ઈસુ] આવ્યો છે.]

12તમે શું ધારો છો? જો કોઇ વ્યક્તિની પાસે સો ધેટાં હોય અને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને પહાડ પર મૂકીને તે ભૂલાં પડેલાં ઘેટાંને શોધવા જતો નથી? 13જો તે તેને મળે તો હું તમને નિશ્ચે કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વધારે ખુશ થાય છે. 14એમ આ નાનાંઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા સ્વર્ગમાંના પિતાની ઈચ્છા નથી.

15વળી જો તારો ભાઇ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે; જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે. 16પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે “દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મૂખથી સાબિત થાય.”

17જો તે તેઓનું ન માને, તો વિશ્વાસી સમુદાયને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ ન માને તો તેને બિનયહૂદી તથા દાણીના જેવા ગણ.

18હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઇ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઇ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે. 19વળી હું તમને કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈપણ બાબત સબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે. 20કેમકે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.’

21ત્યારે પિતરે ઈસુની પાસે આવીને કહ્યું કે, ‘ઓ પ્રભુ, મારો ભાઇ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?’ 22ઈસુએ તેને કહ્યું કે, ‘સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છુ.

23એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો. 24તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ દસ હજાર તાલંતના એક દેવાદારને તેમની પાસે લાવ્યા. 25પણ પાછું આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના શેઠે તેને, તેની પત્ની, તેનાં બાળકોને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી.

26એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે,”શેઠ, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ.” 27ત્યારે તે ચાકરના શેઠને દયા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનુ દેવું માફ કર્યું.

28પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો કે, જે તેના સો દીનારનો દેવાદાર હતો, ત્યારે તેણે તેનુ ગળું પકડીને કહ્યું કે, “તારું દેવું ચૂકવ.” 29ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, “ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ.”

30તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો. 31ત્યારે જે થયું તે જોઇને તેના સાથી ચાકરો ઘણા દિલગીર થયા, તેઓએ જઈને તે સઘળું પોતાના શેઠને કહી સંભળાવ્યું.

32ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું કે, “અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું. 33મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?”

34તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઇઓના અપરાધ તમારાં હૃદયથી માફ નહિ કરો, તો મારા આકાશમાંના પિતા પણ તમને એમ જ કરશે.’

35

Copyright information for GujULB